ભારતના યુવાધનની
વિદેશવાટ
ભારત એ વિશ્વનો
સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ
હોવાનો અર્થ અહીં યુવા વયની વસ્તી સૌથી વધુ અત્યારે ભારતમાં છે અને જે દેશ પાસે
યુવાધન સૌથી વધુ એ દેશ સૌથી વધુ શક્તિશાળી. આમ પણ વિશ્વ ફલક પર ભારતનું નામ અંકિત
થયું છે અને એ વાતનો આપણે ભારતીય તરીકે ગર્વ લેવો જોઈએ અને લઈએ પણ છીએ.
અને હા, વિશ્વના સૌથી શક્તિશાળી
અને નોંધપાત્ર ક્ષેત્રોના ઉચ્ચ સ્થાને પણ કોઈ ભારતીય જ બિરાજમાન છે, જેમ કે સુંદર પીચાઈ, ઋષિ સુનક કે તુલસી
ગ્રેબર્ડ. મોદી હોય કે મુકેશ અંબાણી - એ
ગૌરવવંતા ગુજરાતી ભારતીયો પહેલા છે.
કપિલદેવ હોય કે અમિતાભ બચ્ચન - દુનિયા એમને નામથી ઓળખે છે એમના કામ અને
ભારતીય હોવાના કારણે.
તો પ્રશ્ન એ થાય
કે ભારતમાં બધું જ છે તો ભારતીય યુવાદ્યનની વિદેશ જવાની ઘેલછા કેમ વધતી જાય છે. એક
અંદાજે દર વર્ષે 5 થી 6 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જાય છે અને મોટાભાગે
ભણ્યા પછી ત્યાં જ સ્થાયી થતા હોય છે - સ્વદેશ પાછા આવી સ્થાયી થતા નથી (અમુક
અપવાદ ને બાદ કરતા). તો આપણને એ પ્રશ્ન
ચોક્કસથી થાય કે જો આમ જ ભારતનું યુવાધન બહાર જતું રહેશે તો એક દિવસ આપણે પણ એ
ચિંતા કરવી પડશે જે અત્યારે અન્ય દેશો કરી રહ્યા છે જેની પાસે યુવાધન ઓછું છે.
આ યુવાધનને વિદેશ
જવા માટે જે પરિબળો જવાબદાર છે એ પરિબળો પર શું આપણે કોઈ પગલાં ના લઇ શકીએ ? દેશ તરીકે એ વિચારવાની
શું આપણી નૈતિક ફરજ નથી ? આજે જો આ બાબતે નહીં વિચારીયે તો એક-બે દાયકા
પછી કદાચ બહુ મોડું થઇ ગયું હશે. કેમકે અત્યારે વિદેશ જવાનો જે ક્રેઝ દેખાઈ રહ્યો
છે, એ જોતા તો એવું લાગે છે
કે દરેક દેશમાં જઈને ભારતીય કોલોની ઉભી થઇ જશે, પણ એ ભારતમાં નહીં હોય.
ચાલો આપણે એવા
પરિબળોની યાદી બનાવીયે, જે આપણા યુવાધનને વિદેશ
જવા પ્રેરે છે.
- ઉચ્ચતમ શિક્ષણ
- સારી કમાણી
- સામાજિક સુરક્ષા
(રિટાયરમેન્ટ પછી)
- સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- લોકશાહી (એવી કે જેમાં
સદંતર લાંચ-રુશવતથી જ કામ થાય એવું ના હોય)
- ટેક્ષ ભર્યા પછીની ખાતરી
કે સરકાર સારી સુવિધાઓ આપશે જ (અને મળે પણ છે)
- સરકારી કામ માટે ખરેખર
ધક્કા ખાવા પડતા નથી.
અને એવું ઘણુંબધું
જે અહીં યાદીમાં ઉમેરી શકાય. તો આ યાદીના
દરેક મુદ્દાને ભારતીય સિસ્ટમના પરિપેક્ષમાં મૂકીને વિચારીયે અને પછી જો આપણી પાસે
એના સોલ્યુશન્સ હોય તો શું આપણે એ દિશામાં પગલાં લઇ શકીયે ?
#StudyAbroad
#BeingIndian